ભુજના ટાઉનહોલ ખાતે ‘એલએલડીસી કલાસંગમ ૨૦૨૬’ની ભવ્ય શરૂઆત
ત્રણ દિવસ સંગીત, સાહિત્ય અને નૃત્યની રમઝટ બોલાશે
ભુજ - કચ્છઉદય : કલા, સર્જન અને સંવાદને એક મંચ પર આવરી લેતા સંગીત, સાહિત્ય અને નૃત્યના અનોખા ત્રિવેણી સંગમ સમાન ‘એલએલડીસી કલાસંગમ ૨૦૨૬’ની ટાઉન હોલ, ભુજ ખાતે ભવ્ય શરૂઆત થઈ રહી છે. શ્રૃજન - લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર દ્વારા આયોજિત અને કચ્છીયત’, સંવેદના તથા મહારાઓ વિજયરાજજી લાયબ્રેરીના વિશેષ સહયોગથી આ ત્રણ દિવસીય કલા મહોત્સવ તા. ૨૧, રર અને ર૩ ઓગસ્ટ દરમિયાન યોજાશે. ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે વધુ કલારસિકો અને પ્રેક્ષકો આ કલા મહોત્સવને માણી શકે તથા બાળ, યુવા અને નવોદિત કલાકારોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે મંચ મળી રહે તે હેતુથી આ વિશિષ્ટ આયોજન ભુજ ટાઉન હૉલ ખાતે કરવામાં આવ્યું છે.
શુક્રવારથી શરૂ થઈ રહેલા આ ત્રિવેણી કલા મહોત્સવમાં પ્રથમ દિવસે એટલે કે ૨૧ ઓગસ્ટના રોજ કલારસિંકો સંગીત કલાસંગમની અદ્દભૂત પ્રસ્તુતિઓ માણી શકશે, જેમાં ગાયન અને વાદનની વિવિધ શૈલીઓની સૂરમય રજૂઆતો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. ત્યારબાદ તા. રર ઓગસ્ટના રોજ સાહિત્ય કલાસંગમ યોજાશે, જેમાં ઉત્કૃષ્ટ સાહિત્યિક રચનાઓ અને મૌખિક પ્રસ્તુતિઓ દ્વારા સાહિત્યનો રસાસ્વાદ પીરસવામાં આવશે. મહોત્સવના અંતિમ દિવસે તા. ૨૩ ઓગસ્ટના રોજ નૃત્ય કલાસંગમમાં વિવિધ નૃત્ય શૈલીઓની મનોહર અને દર્શનીય કૃતિઓ રજૂ કરવામાં આવશે.
આ ત્રિવેણી સંગમમાં અનુભવી કલાકારો અને વિષય નિષ્ણાતો દ્વારા નવોદિત કલાકારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે સાથે જ કલાકારો વચ્ચે હાર્દિક અને સાર્થક સંવાદ પણ યોજાશે. આ કાર્યક્રમ તમામ કલારસિકો અને પ્રેક્ષકો માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ત્રણેય દિવસ કાર્યક્રમ દરરોજ સાંજે ૪ વાગ્યાથી શરૂ થઈ રાત્રે ૯ વાગ્યા સુધી ચાલશે.
------
એલએલડીસીની "અન્ડર ધ એમ્બ્રોડર્ડ સ્કાય” ગેલેરી ૨૧ ઓગસ્ટથી ૧૪ સપ્ટેમ્બર સુધી બંધ રહશે
ભુજ - કચ્છઉદય : શ્રૃજન સંચાલિત અજરખપુર, ભુજ ખાતે આવેલ ક્રાફ્ટ મ્યુઝિયમ “લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર” કચ્છની હસ્તકળા, પરંપરા અને કારીગરોની સર્જનાત્મકતાને સંરક્ષિત અને પ્રદર્શિત કરતું આગવું મ્યુઝિયમ છે. દેશ-વિદેશ તેમજ સ્થાનિક કચ્છ અને ગુજરાતમાંથી હસ્તકળામાં રસ ધરાવતા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, સંશોધકો અને કળાપ્રેમીઓ સતત મ્યુઝિયમની મુલાકાત લેતા રહે છે. મ્યુઝિયમની ગેલેરીઓ, લાઇબ્રેરી, રિસર્ચ સેન્ટર તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વર્કશોપ દ્વારા કળા અને વારસાને જીવંત રાખવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે.
એલએલડીસી ખાતે આવેલ “અન્ડર ધ એમ્બ્રોડર્ડ સ્કાય” ગેલેરીમાં આગામી નવા પ્રદર્શનની તૈયારીના ભાગરૂપે તા. ૨૧ ઓગસ્ટથી તા. ૧૪ સપ્ટેમ્બર સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે. ખાસ જણાવવાનું કે આ દરમિયાન મ્યુઝિયમની અન્ય બે ગેલેરીઓ “ધ લિવિંગ એમ્બ્રોઇડરીઝ ઓફ કચ્છ” અને “ધ મ્યુઝિક ગેલેરી” મુલાકાતીઓ માટે રાબેતા મુજબ ખુલ્લી જ રહેશે, તેથી મુલાકાતીઓ આ બંને મુખ્ય ગેલેરીઓની મુલાકાત લઈ શકશે. આ સમયગાળા દરમિયાન “અન્ડર ધ એમ્બ્રોડર્ડ સ્કાય” ગેલેરીમાં આગામી વિશેષ પ્રદર્શન માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવશે. આ નવા પ્રદર્શન દ્વારા કચ્છના જાણીતા સંગ્રાહક મહરૂમ અબુબકર અબ્દુલ્લાહ વઝીર (વઝીરભાઈ)ના અમૂલ્ય ટેક્સટાઇલ સંગ્રહ અને તેમની અનોખી સંરક્ષણ દ્રષ્ટિને રજૂ કરવામાં આવશે. “અન્ડર ધ એમ્બ્રોડર્ડ સ્કાય ગેલેરી” અને “ઈન્સ્પીરેશન ગેલેરી” તા. ૧૫ સપ્ટેમ્બરથી નવા સ્વરૂપ અને નવા પ્રદર્શન સાથે મુલાકાતીઓ માટે પુનઃ ખુલશે.
-----

Comments