ભુજના સ્મૃતિવન ખાતે ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ નિમિત્તે પ્રકૃતિ અને ફોટોગ્રાફીના અનોખા સંગમ સમાન ‘રિલાઈવ ધ રૂટ્સ’ કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ના ઉપલક્ષ્યમાં ભુજ સ્થિત સ્મૃતિવન મેમોરિયલ અને એચડીએફસી બેન્કના સંયુક્ત ઉપક્રમે "રિલાઈવ ધ રૂટ્સ ૨.૦" નામની એક વિશેષ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને પ્રકૃતિ અને આપણા વારસા સાથે ફરીથી જોડવાનો તથા કેમેરાના લેન્સ દ્વારા કુદરતી સૌંદર્યને માણવાનો હતો.
બુધવારે વહેલી સવારે સ્મૃતિવનના સન પોઈન્ટ તરફના રસ્તેથી આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેમાં નિષ્ણાત ગાઈડની દોરવણી હેઠળ સહભાગીઓએ ‘ફોરેસ્ટ વોક’ની મજા માણી હતી. રોજિંદી ભાગદોડથી દૂર, સવારના ખુશનુમા અને શાંત વાતાવરણમાં લોકોએ જંગલ ભ્રમણ કરી પ્રકૃતિને ખૂબ નજીકથી અનુભવી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘મોબાઈલ ફોટોગ્રાફી વર્કશોપ’ રહ્યું હતું. આજકાલના સ્માર્ટફોન યુગમાં મોબાઈલથી જ ઉત્તમ તસવીરો કેવી રીતે ક્લિક કરવી, લેન્ડસ્કેપ અને નેચર ફોટોગ્રાફીમાં ફ્રેમિંગ કેવી રીતે કરવું વગેરેની પ્રેક્ટિકલ તાલીમ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. સહભાગીઓએ પણ પૂરા ઉત્સાહ સાથે સ્મૃતિવનના અદભુત વારસા અને કુદરતી સૌંદર્યને પોતાના કેમેરાના લેન્સમાં કેદ કરી પળોને યાદગાર બનાવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સ્મૃતિવન મ્યુઝિયમના ડાયરેક્ટર મનોજકુમાર પાંડેય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને તેમના ઉત્સાહ અને ભાગીદારીને બિરદાવવા માટે સ્મૃતિવન અને એચડીએફસી બેન્ક તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં ભાગ લેનાર સહભાગીઓએ એકબીજા સાથે પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. સ્મૃતિવન મેમોરિયલના આયોજકો દ્વારા જણાવાયું હતું કે, લોકો પોતાના મૂળ અને પ્રકૃતિ સાથે ફરીથી જોડાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેને લોકોનો ભારે અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
------

Comments