પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાનગડ
કચ્છ પર્યાવરણ સંઘની ૧૮ વર્ષની પર્યાવરણલક્ષી કામગીરીની ભુજમાં કરાઈ સમીક્ષા યુવાનોને જોડાવા હાકલ
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છ પર્યાવરણ સંઘ દ્વારા તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં સંસ્થાની ૧૮ વર્ષની પર્યાવરણલક્ષી કામગીરીની સમીક્ષા સાથે ભવિષ્યની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ અરજણ કાનગડે જણાવ્યું હતું કે, કચ્છમાં પર્યાવરણની જાળવણી માટે સંસ્થા છેલ્લા ૧૮ વર્ષથી સતત સક્રિય રહી છે અને હવે વધુમાં વધુ યુવાનો પર્યાવરણ સંરક્ષણના કાર્ય સાથે જોડાય તે જરૂરી છે. કાંતિસેન શ્રોફ અને દિલીપ દાદાના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી સંસ્થાએ ભૂતકાળમાં કચ્છમાં કોલસાના ઉત્પાદન માટે બાવળ સહિતના વૃક્ષોના મોટા પાયે થતાં કાપને અટકાવવા મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. આ અંગે પરિપત્ર બહાર પડાવી વૃક્ષોનું કટિંગ અટકાવવામાં સંસ્થાએ ભૂમિકા ભજવી હતી.સંસ્થા દ્વારા કચ્છભરમાં વૃક્ષ ઉછેર, સફાઈ અભિયાન સહિતની વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના મંદિરે પગપાળા જતા યાત્રિકોના માર્ગ પર પ્લાસ્ટિકના કચરા અને પ્રદૂષણને રોકવા માટે પણ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભુજ ખાતે વન વિભાગ સાથે સંકલન કરીને વિવિધ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.
સામાન્ય સભાનો મુખ્ય હેતુ યુવાનોને એકત્રિત કરી પર્યાવરણ સંરક્ષણના કાર્યમાં સક્રિય રીતે જોડવાનો હતો. અરજણ કાનગડે વધુમાં વધુ નાગરિકોને કચ્છના હિતમાં પર્યાવરણની જાળવણી માટે કચ્છ પર્યાવરણ સંઘ સાથે કાર્યકર્તા તરીકે જોડાવા જાહેર અપીલ કરી હતી.
.........
‘કચ્છ ઉદય’ની સરાહના કરી
અરજણભાઈ કાનગડે સ્થાનિક લોકપ્રિય અખબાર ‘કચ્છ ઉદય’ અને તેના સ્થાપક શ્રી ગંગારામભાઈ ભાનુશાલીનો પણ પર્યાવરણલક્ષી કામગીરીને પ્રોત્સાહન આપવા બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
.........

Comments