સુભાષનગરમાં ઘરમાં ઘુસીને ૧.૬૩ લાખની ચોરી કરાઈ
બપોરે બે વાગ્યાથી બીજા દિવસે સવારે ૧૧ વાગ્યા દરમિયાન બન્યો બનાવ
ગાંધીધામ : શહેરના સુભાષનગરમાં વધુ એક વખત ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ભોગ બનનાર પરિવારના સભ્યો પાલનપુર ગયા ત્યારે બંધ ઘરનો લાભ લઈ તસ્કરોએ ધોળા દિવસે ખાતર પાડીને ઘરમાંથી રોકડ દાગીના સહિત ૧.૬૩ લાખની માલમતા ઉસેડી લીધી હતી. પરિવાર પાલનપુરથી આવ્યો ત્યારે ઘરે વેરવિખેર સામાન જાેઈ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ અંગે જાણવા એ ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ સુભાષનગરમાં પ્લોટ નંબર ૧૧ વોર્ડ ૮/એમાં રહેતા નીતિનભાઈ હરશીભાઈ દેવરિયા પાલનપુર ગયા હતા. ત્યારે ૩૦મી તારીખે બપોરે ર વાગ્યાથી બીજા દિવસે ૧ તારીખે સવારે ૧૧ વાગ્યા દરમિયાન આ ચોરી થવા પામી હતી. તેઓ પાલનપુરથી આવ્યા ત્યારે સામાનની ગણતરી કરતાં ઘરમાં લોખંડના અને લાકડાના કબાટમાં રહેલા રોકડા રૂપિયા ૩પ હજાર તેમજ અન્ય દાગીનાઓ મળી ૧ લાખ ૬૩ હજારની ચોરી કરવામાં આવી હતી. કોઈ શખ્સોએ તાળા તોડી અંદર પ્રવેશ કરીને બનાવને અંજામ આપ્યો હતો. પૂર્વ કચ્છ વિસ્તારમાં પોલીસ માંડ એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલે ત્યાં તસ્કરો ચાર જગ્યાએ ચોરી કરી આવે છે. જેથી લોકોને હવે ના છુટકે પોતાના ઘરની રખેવાળી કરવા સાથે ઘરે પણ કેમેરા લગાવવાની ફરજ પડી રહી છે.
ભુજમાં બીઝનેશ લોન કરી દેવાનું કહી ૩.રર લાખ પડાવી લેવાયા
ઘાટિયા શેરીમાં બનેલા બનાવ અંગે માધાપરના શખ્સ સામે ફોજદારી
ભુજ : શહેરમાં રહેતા અને શેર બજારનો ધંધો કરતા વેપારીને માધાપરના શખ્સે ભોળવીને બિઝનેશ લોન કરી આપવાની લાલચ આપી હતી. જે પેટે અલગ અલગ સમયે રૂપિયા પડાવી લેવાયા પરંતુ લોન ન કરી આપી ઠગાઈ કરવામાં આવી હતી.
ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘાટિયા શેરીમાં ફરસાણી દુનિયાની પાછળ રહેતા જીગરભાઈ પ્રેમજીભાઈ શાહે જણાવ્યું હતું કે, મૂળ ભચાઉના અને હાલે માધાપરમાં રહેતા રાજેન્દ્રભાઈ વનરાજભાઈ રાજપૂતે ફરિયાદીને બિઝનેશ લોન કરી આપવા માટે વિશ્વાસમાં લઈ પ્રોસેસીંગ ફી, સિક્યુરીટીની રકમ તેમજ અન્ય ખર્ચા પેટે ટુકડે ટુકડે ૩,રર,૧૦૦ રૂપિયા પડાવી લીધા હતા. જાે કે બાદમાં ફરિયાદીને લોન ન કરી આપી રૂપિયા પણ પરત આપ્યા ન હતા. જેથી છેતરપિંડી અને વિશ્વાસઘાત થતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા ૬ મહિના દરમિયાન બનાવને અંજામ અપાયો હતો.
જિલ્લા પશુપાલન વિભાગે માધાપરમાં ટીમો ઉતારી : ગૌવંશના સેમ્પલ લેવાની કામગીરીનો ધમધમાટ
અબોલ જીવોની વહારે કચ્છ ઉદય : અહેવાલ બાદ તંત્ર દોડતું થયું :લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસો દેખાયા બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અટકાયતી પગલા : અસરગ્રસ્ત માધાપર વિસ્તારમાં રસીકરણની વ્યાપક ઝુંબેશ : પ્રાથમિક તબક્કે એક હજાર ગૌવંશોને અપાશે રસીનું સુરક્ષા કવચ લમ્પીના પગપેસારા સાથે જ પશુપાલકોએ પોતાના પશુઓ માટે રસી મેળવવા મુકી દોટ
ભુજ : કચ્છ જિલ્લામાં ઘાતક લમ્પી વાયરસે ફરી દેખા દેતા પશુપાલક અને માલધારી સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીજીતરફ કચ્છઉદયમાં લમ્પી વાયરસનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અટકાયતી પગલા લેવાની કામગીરી વેગવાન બનાવી દેવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો મુજબ અસરગ્રસ્ત એવા માધાપર ગામે આજે સવારથી પશુપાલન વિભાગની ટીમો ધસી ગઈ હતી. જયાં એકતરફ શંકાસ્પદ લક્ષણો ધરાવતા ગૌવંશોને અલગ તારવી દેવાયા છે તો બીજીતરફ માધાપર વિસ્તારના અન્ય ગૌવંશના સેમ્પલ લેવાની કામગીરીનો ધમધમાટ આજે જાેવા મળ્યો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં ગૌવંશને રસીનું સુરક્ષા કવચ આપવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવાઈ છે. સંભવતઃ આજે સાંજથી જ અંદાજીત એક હજાર જેટલા ગૌવંશને લમ્પી વાયરસની રસીના ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે.
લમ્પી વાયરસે કચ્છમાં ફરી દેખા દીધાના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ માલધારી અને પશુપાલકોએ પણ તેને ગંભીરતાથી લઈ પોતાના ગૌવંશને લમ્પીની અસરથી બચાવવા રસી મેળવવા માટે દોટ મુકી હતી. તંત્ર દ્વારા ૧૦૦ જેટલા ગૌવંશના જુથ માટે એક વાયલ પશુપાલકોને આપવામાં આવી રહી છે. લોરિયા પંથક સહિતના પશુપાલકો તકેદારીના ભાગરૂપે ગાયોને રસીના ડોઝ આપવાની કામગીરી આરંભી દીધી છે.
તંત્રના જણાવ્યાનુસાર હાલે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પરંતુ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં રસીકરણની કામગીરી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વેગવાન બનાવાશે. પશુપાલન વિભાગ દ્વારા પણ માલધારીઓને શંકાસ્પદ લક્ષણો જણાય તેવા ગૌવંશોને અલગ તારવી તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકને જાણ કરવા સુચન કરાયું છે. સરકારી તંત્ર ઉપરાંત જિલ્લામાં જીવદયાની પ્રવૃતિઓ સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અસરગ્રસ્ત ગૌવંશની સારવાર માટે આગળ આવી રહી છે. લમ્પી વાયરસના ફરી દસ્તકથી જીવદયા પ્રેમીઓમાં પણ ભારે ચિંતાનું મોજું ફેલાયું છે.
લમ્પીનો કહેર છતા કચ્છનું તંત્ર જિલ્લા પશુધન નિરીક્ષકની ભરતીમાં કેમ સુસ્ત? ડીડીઓ-જિ.પંચાયત પ્રમુખ સહિતનાઓ ઘોર ફરમાવે
ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં પશુધનના સરંક્ષણ માટે પશુધન નિરીક્ષકની ૧૮ જગ્યાઓ ભરવા ફાળવણી કરી દેવાઈ છે પરંતુ એકાદ-મે માસથી ફાઈલ જાતી વેરીફીકેશન સહિતના વિષયોને લઈને પડતર જ પડી હોવાની છે ચર્ચા ? કોની ટેબલ પર આ ફાઈલ ધુળ ખાઈ રહી છે? કયા કારણોસર સરકારે પશુધન નિરિક્ષકો ફાળવી દીધા છતા પણ નિમણુકો કરાતી નથી?
ગાંધીનગર કક્ષાએ વેરીફીકેશન માટેનુ કામ ચાલુ હતુ, હવે પૂર્ણતાના આરે જ છે, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સુચન બાદ નિમણુકો આપી દેવામાં આવશે, પશુઓને વેકસીનેશનનુ કામ ચાલુમાં જ છે, ગાઈડલાઈન અનુસાર તમામ પ્રક્રીયાઓ અનુસરાય છે, સંકલનની બેઠક પણ બોલાવાઈ જ રહી છે : શ્રી ઠકકર (જીલ્લા પશુપાલન અધીકારી, કચ્છ)
માધાપરમાં ટીમો મોકલાવી, સારવાર અને અગમચેતીની તમામ કાર્યવાહી શરૂ કરાવી દીધી છે, પશુધન નિરિક્ષકો બાબતે ડીડીઓથી ચર્ચા કરી તરત જ નિકાલ કરાવવા પ્રયાસ હાથ ધરું છે : પારૂલબેન કારા (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત) માધાપર કે જે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીનું જ ગામ છે, ત્યાં જ લમ્પીએ દેખા દીધી છે, તેમ છતા પણ પશુધન નિરિક્ષકોની નિમણુકમાં વિલંબ બદલ કેમ લાપરવાહોના કાન આમળવામાં આવતા નથી? યક્ષ સવાલ
ગાંધીધામ : ગુજરાત સરકાર છેવાડાના કચ્છના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતિત છે. અને અલગ અલગ સુવિધાઓ આ જિલ્લાને આપી જ રહી છે પરંતુ જિલ્લામાં આ જ સરકારના અમુક બાબુઓ દ્વારા સુસ્તી કરવામાં આવતી હોવાથી પ્રજાજનોને મળવાપાત્ર લાભ સતત ઠેલાતો હોય તેવી વધુ એક સ્થિતી સર્જાતી જાેવાઈ રહી છે. હાલમાં પણ કચ્છમાં પુનઃ એક વખત લમ્પીના શંકાસ્પદ લક્ષણોએ દેખા દીધી છે અને તંત્ર ઉંઘતુ જ ઝડપાયુ હોય તેમ દોડી રહ્યુ છે ત્યારે બીજીતરફ આ જ પશુપાલન વિભાગમાં ગુજરાત સરકારે ૧૮ જેટલા પશુધન નિરક્ષકોની જગ્યાઓ ફાળવી દીધી હોવા છતા તેમની નિમણુકોમાં પાછલા એકાદ દોઢ માસથી એક યા બીજી રીતે વિલંબ થવા પામી રહ્યો હોવાનો વર્તારેા ખડો થવા પામી રહ્યો છે. આવુ શા માટે ? આ ફાઈલ કચ્છમાં કયાં અટકેલી પડી છે? કયા કારણોસર કોઈ એક ટેબલ પર આ ફાઈલ આગળ વધતી નથી? હકીકતમાં આ અંગે જીલ્લા પશુપાલન અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાઓની ચુપકીદી પણ વધારે જ અકળવાનારી બનતી જાેવાઈ રહી છે.
બીજીતરફ આ બાબતે જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ઠકકરને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, માધાપરમાં કે પછી અન્યત્ર કયાંય એકટીવી લમ્પીના કેસો હાલમાં કોઈ જ દેખાયા નથી. જુના કેસો હતા તેમાં ગાંઠો અમુક ગૌવંશમાં માધાપરમાં મોટી થવા પામી છે જેને લઈને પશુપાલન વિભાગ દ્વારા ટીમો ઉતારી અને જરૂરી સારવારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા કચ્છને માટે ૧૮ જેટલા પશુધન નિરિક્ષક અધિકારીઓની ફાળવણી કરી દીધી છે તેમ છતા કચ્છમાં શા માટે તેઓની નિમણુકો કરવામાં આવતી નથી? પાછલા એકાદ-દોઢ માસથી આ ફાઈલો કેમ ગોળમટોળ ટેબલથી ટેબલ પર ફરી રહી છે? આ બાબતે શ્રી ઠકકરે જણાવ્યુ હતુ કે, ગાંધીનગર કક્ષાએ બોર્ડમાં અધિકારીઓના જાતી વેરફીકેશન સહિતના બાબતે ફાઈલો જતી હોય છે અને હવે તે કામ-ચકાસણીઓ પૂર્ણ થવા પામી ગઈ છે, ટુંક જ સમયમાં ડીડીઓશ્રીથી પરામર્શ બાદ આ અધિકારીઓને કચ્છમાં નિમણુક આપી દેવામા આવશે એન ૧૮ જેટલા પશુધન અધિકારીઓ કચ્છને મળતા પશુ આરોગ્ય કેન્દ્રોની કાર્યવાહી પુરજાેશમાં ધમધમાવી શકાશે. લમ્પી માટેની રસીના ડોસ કચ્છમાં લાંબા સમયથી પડતર પડયા છે તો કેમ રસી આપવામાં આવી નહી? આ બાબતે શ્રી ઠકકરે જણાવ્યુ હતુ કે, રસી ગત જુન-જુલાઈ માસમાં અપાઈ હતી જેની અસર એકાદ વર્ષ સુધી રહેતી હોય છે અને ઈમ્યુમીટી પણ પશુઓની એટલી જળવાતી હોય છે માટે રસી આપવામાં આવી ન હતી. હવે લમ્પીના પ્રાથમિક લક્ષણો સમાન અમુક કેસો દેખાયા છે તો રીંગ વેકસીનેશનનુ કામ પણ ચાલી રહ્યુ છે. કચ્છમાં હાલમાં લમ્પી માટેની રસીના ર લાખ ડોઝ ઉપલબ્ધ છે તેવુ શ્રી ઠકકરે ઉમેર્યુ હતુ. તેની સાથાસાથ જ લમ્પી ઉપરાંત પુશપાલન વિભાગની ગાઈડલાઈન અનુસારની સંકલન બેઠકેા પણ રાબેતામુજબ જ યોજવામા આવી રહી હોવાનુ શ્રી ઠકકરે આ તબક્કે કહ્યુ હતુ.
બીજીતરફ આ બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમત પારૂલબેન કારાને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, પરીવારમાં એક દુખદ ઘટના બની છે તેથી ત્રણ દીવસથી ઘરે જ છુ, લમ્પીના આશંંક લક્ષણોની વાત મારા ધ્યાને આવી છે અને પશુપાલન અધિકારી સાથે વાતચીત કરી ટીમો મોકલાવી સારવાર-ચિકિત્સા તથા રોગને ફેલાતો અટકાવવાની તમામ કાર્યવાહી કરવાની સુચનાઓ આપી દીધી છે. ઉપરાંત પશુધન નીરિક્ષકની ખાલી જગ્યાઓમાં શા માટે વિલંબ થઈ રહ્યો છે તે અંગે પણ વેળાસર જ ડીડીઓથી ચર્ચા કરી એન અમલવારી કરાવવાની ખાત્રી શ્રીમતી કારાએ આ તબક્કે ઉચ્ચારી છે. ઉપરાંત બે લાખ રસીના ડોઝ હતા છતા શા માટે સમયસર અગમચેતીના ભાગરૂપે તે પશુઓને નથી અપાઈ અને સંકલનની બેઠકો પણ નિયમિત લેવાય તે સહિતની દીશામાં કડકાઈથી સુચનો આપવા-પુછાણા લેવાનો વિશ્વાસ પણ જિલ્લા પંચાયત અધ્યક્ષાએ આ તબક્કે દર્શાવ્યો હતો. તોવળી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રજાપતિના ફોનની ઘંટડીઓ જ રણકતી રહી હોવાથી તેઓની આ બાબતે પ્રતિક્રીયા જાણી શકાઈ ન હોતી.
ભુજ એકમના પશુપાલન મદદનીશ નિયામકશ્રીની સતર્કતા સરાહનીય
ગાંધીધામ : કચ્છના માધાપરમાં ગૌવંશમાં લમ્મીના પ્રાથમિક ચીહ્નો દેખાયા હોવાની વાત ધ્યાને આવતાની સાથે જ પશુરોગ આરોગ્ય કેન્દ્ર ભુજ એકમના નાયબ નીયામક શ્રી ડો. રાજેશ પટેલ દ્વારા ખુદ જાત સ્થળ નિરિક્ષણ કરી અને પુશઓના લોહીના સેમ્પલો લઈ અને અમદાવાદ ખાતે પૃથકરણ માટે મોકલી આપ્યા હતા. તેઓએ દાખવેલી આ સમયસુચકતા અને સતર્કતાથી અન્ય પશુઓમાં આ બીમારીને ફેલાતી અટકાવવાની દીશામાં ભારે મદદ મળવા પામી શકશે.
જુઓ તો ખરા, કચ્છ પોલીસ માટે ફરાર છે, એ ગાંધીધામનો ક્રીકેટ સટ્ટોડીયા નીલીએ ખાસબોક્ષમાંથી સટ્ટાનો ધમધમાવ્યો અડ્ડો
કચ્છ બોર્ડર રેન્જની ટીમે આદિપુરમાં પાડેલા દરોડામાં પકડેલા સટ્ટોડીયાપાસેથી જે નીલી ઉર્ફે નીતીનનુ નામ બહાર આવ્યુ હતુ, તે હજુ’ય પોલીસ ને હાથ નથી લાગો પરંતુ કવોલીફાયર રાઉન્ડ સહિતની મેચો આ નીલીએ અમદાવાદ મોટેરા સ્ટેડીયમમાં એક ખાસ બોક્ષમાં અલાયદી ટેબલો, પાંચથી વધુ મોબાઈલો રાખીને બિનધાસ્ત મેચો નિહાળતો અથવા તો ક્રીકેટ સટ્ટાનો ચલાવી રહ્યો હતો નેટવર્ક..?
પૂર્વ કચ્છમાં તો આવા તત્વો અમુક બની બેઠેલા અધિકારીને ૩૦ લાખના રોલેક્ષ ઘડીયલો આપી રહ્યા છે ભેંટ? તો પછી તેમને અહીના ખાખીધારીઓ શા માટે પકડશે? ખરેખર તપાસ થવી જાેઈએ કે, કયા અધિકારીને આ મોઘુદાટ રોલેક્ષ ઘડીયાલની મળી છે ભેટ? કોના દ્વારા આપવામાં આવી છે?
ગાંધીધામના બહુચર્ચિત મહીલા આપઘાત કેસની તપાસ જાે સીઆઈડી ક્રાઈમને સોપવામાં આવશે તો પણ કઈકના પગ તળે રેલો લંબાશે ઃ તાજેતરમાં જ સંકુલમાં એક પ્રતિષ્ઠીત મહીલા અગ્રણીના આત્મહત્યા કેસની ખુબ જ થઈ હતી ચર્ચાઓ
ગાંધીધામ : કુખ્યાત ક્રિકટ સટોડીયા લલિત અને નીલીની દુકાન પૂર્વ કચ્છમાં તો મહદઅંશે બંધ જ થવા પામી ગઈ છે પરંતુ ખાખીના ચોપડે આ શખ્સોના નામો ચડેલા હોવા છતા તેઓની શબક શીખવાડીતી કડક કાર્યવાહી એકતરફ થતી દેખાતી નથી તો બીજીતરફ કયારેક ગોવા તો કયારેક હરીદ્વાર તો કયારેક ખુલ્લેઆમ અમદાવાદમાંથી આવા તત્વો ક્રીકેટ સટ્ટાનુ નેટવર્ક ધમધમાવી રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.
આ બાબતે ચર્ચાતી વિગતોની વાત કરીએ તો આદિપુરના ક્રીકેટ સટ્ટાના થયેલા કેસમાં સત્તાવાર રીતે જ જે આદિપુરના નીલી ઉર્ફે નીતીનનું નામ સપાટી પર આવવા પામી ચૂક્યુ છે તેને ખાખીધારીઓ ઝડપી પાડયો હોય અથવા તો તેની સામે કોઈ કાર્યવાહી કરી હોય તેવુ તો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામા આવ્યુ જ નથી અને એટલે માની શકાય કે, ખાખીના ચોપડે આ નીલી ઉર્ફે નીતીન હજુય ફરાર જ છે પરંતુ વાસ્તવીકતા એવી છે કે, આઈપીએલનો રોમાંચ હાલમાં તેની ચરમસીમાએ હતો ત્યારે ક્રીકેટ સટ્ટોડીયાઓ આ સડ્ડાથી દુર રહી જ ન શકે? અને નીલી ઉર્ફે નીતીન પણ આદિપુરના કેસમાં તેનુ નામ ખુલતા અમદાવાદ જ ભાગી ગયો અને બોપલમાં એક એપાર્ટમેન્ટના ફલેટમાં આશરો પામી ગયો હતો.
તો વળી લલિત સહિતની ટોળકી ગોવા નાશી છુટવાની ફરજ પડી હતી. કહેવાય છે કે, હાલમાં આ નીલી મોટેરા સ્ટેડીયમ ખાતે ખાસ બોક્ષમાં અલાયદી ટેબલ લઈ અને ત્યાથી આઈપીએલની મેચ નિહાળતો જાેવાયો હતો. અને તેના આ ફોટાઓ પણ ખુબ વાયરલ થવા પામ્યા છે. હવે મેચ જાેવા તો આ નીલી ઉર્ફે નીતીન શું ગયો હશે પરંતુ જે રીતે તેના ફોટાઓ વાયરલ થયા છે અને તેમાં ટેબલ પર તે પાંચથી વધુ મોબાઈલો રાખીને બેઠેલો જાેવાય છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, અમદાવાદમાં મોટેરા સ્ટેડીયમમાં બેઠા બેઠા જ આ નીલીએ ક્રીકેટ સટ્ટાનુ તેનુ નેટવર્ક ચલાવ્યું હતું.
વિચાર તો કરો કે, ગાંધીધામ- આદિપુર સહિતના ક્રીકેટ સટ્ટામાં જેનુ નામ ચકચારી રહ્યુ છે અને એકાદ-બે કેસોમાં તો ખુલીને સામે આવવા પામી જ ચુકયુ છે તે નીલી સ્થાનિક ખાખીધારીઓના હાથે ચડી શકતો નથી પરંતુ અમદાવાદમાં તે ખુલ્લેઆમ લકઝરીયસ અને વીઆઈપી બોક્ષમાં બેઠેલો જાેવાઈ રહ્યો હતો? જાે કે, બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં તો લલિત અને નીલી જેવા તત્વો અધિકારીઓને ૩૦ લાખના મોંઘાદાટ રોલેક્ષ ઘડીયાલોની ભેટ આપી રહ્યો છે. જાે હકીકતમાં આ વાત સાચી જ હોય તો તપાસની જરૂર છે કે, આ ૩૦ લાખનુ રોલેક્ષ ઘડીયાલ કોને મળવા પામ્યુ છે? કયા અધિકારીઓને આપ્યુ છે? કોના દ્વારા અને કોના મારફતે આપવામાં આવ્યુ છે? તે પણ તપાસનો વિષય બની રહ્યો છે. જાે આ રીતે જ મોંઘીદાટ ભેટો સ્વીકારાતી હોય તો પછી લલિત અને નીલી જેવાઓને સ્થાનિકે કોણ પકડવાનુ છે?
ભુજ સુધરાઈના ૧પ૦ જેટલા કર્મીઓ એરિયસ ચૂકવણાથી વંચિત
ભુજ : નગરપાલિકાએ તા.૪-૧ર-૧૬ના મોંઘવારી ભથ્થા વધારાની તફાવત રકમ તમામ કર્મચારીઓને રોકડમાં ચૂકવવા હુકમ કરેલ, જે કેટલાક હપ્તા એકાઉન્ટ બ્રાન્ચ હેડે ચૂકવેલ છે અને ૮૦ ટકા રકમ લગભગ ૧પ૦ કર્મચારીની બાકી નીકળે છે, કાર્યાલય આદેશ બહાર પાડેલ અને જણાવેલ કે બાકી નીકળતું એરિયસ તમામ કર્મચારીઓને રોકડમાં ચૂકવવામાં આવશે.
ર૦૧પ અને ર૦૧૬ની રોકડ રકમમાં ચૂકવવાની જરૂરી કાર્યવાહી મુખ્ય અધિકારી જે-તે સમયે કરી હોવા છતાં એકાઉન્ટ પંચે તેની અમલવારી આજદિન સુધી નહીં કરતા ૧પ૦થી વધુ કર્મચારીઓ એરિયસની રકમ મળેલ નથી. જેનો અમલ ના થતા કેટલાક નારાજ કર્મચારીઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વારા ખટખટાવ્યા જે અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટના વકીલ ભાવિનભાઈ ઠાકર દ્વારા કેસ દાખલ કરાવી, હિઅરીંગ દરમ્યાન કેસની હકકીત જણાવતા નામદાર કોર્ટએ ભુજ નગરપાલિકાને નોટિસ પાઠવેલ છે અને જવાબ હોય તો રજૂ કરવા હુકમ કર્યો હતો.
ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
ભુજ : બુલિયન મર્ચન્ટ એસોસિએશન ભુજ શહેર અને તાલુકાના ગામોના સોના ચાંદીના વેપારીઓના હિત માટે છેલ્લા ૫૦ વર્ષથી કાર્ય કરતી આવી છે. ભુજની હોટલ ઇલાર્કમાં સંસ્થાની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી.
સભામાં આઇજીપી સરહદી વિભાગની પરવાનગીથી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ટી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સાયબર સિક્યુરીટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર દરમ્યાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગના એએસઆઇ હિતેષ કમળકાંત જાલાએ વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે વીશીંગ કોલ, ફીશીંગ ઇમેઇલ, લીન્ક ફ્રોડ, ઓનલાઇન શોપીંગ ફ્રોડ, યુપીઆઇ ફ્રોડ વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રસપ્રદ માહિતી આપી હતી. સાયબર ક્રાઇમ કઇ રીતે થાય છે ? તેમજ સાયબર ક્રાઇમથી બચવા કેવા કેવા પગલાંઓ લઇ શકાય ? તેમજ સાયબર ક્રાઇમનો ભોગ બની ગયા હોઇએ તો કઇ રીતે ઓનલાઇન ફરીયાદ નોંધાવી શકાય તેના વિશે પણ વિગતવારની માહિતી આપી હતી.
એલસીબીના પીઆઇ જે.વી. ધોળાએ પણ હાજરી આપી પોલીસ પ્રજાનો મિત્ર છે એ વિશે ભારપૂર્વક રજૂઆત કરી હતી. કોઈ પણ સાચા નાગરિકે પોલીસ સ્ટેશનથી ડરવાને બદલે પોલીસ સ્ટેશનને મંદિર સમજી પોતાના પ્રશ્નો માટે આવવું જાેઈએ તે રસાળ ભાષામાં સમજાવ્યું હતું.
ભુજ શહેરના બંને એ તેમજ બી ડિવિઝન દ્વારા છેલ્લા બે વર્ષમાં સોની ભાઈઓના ગુમ થયેલ કિંમતી માલ સમાન જેની કિંમત રૂપિયા બેથી ૨૦ લાખ જેટલી થાય છે તે પરત મેળવવા ઊંડી જહેમત ભર્યા સફળ પ્રયાસો કરવામાં આવેલ તેમજ અન્ય પ્રશ્નો માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ જેને સંસ્થા તરફથી બિરદાવવામાં આવી હતી. સભામાં સંસ્થાના નવા બનવા ઇચ્છતા વેપારી ભાઈઓ માટે નવા નિયમો રજૂ કરવામાં આવ્યા. તેમજ સંસ્થા કોઈપણ પ્રકારના વિઘ્ન વગર અત્યાર સુધી જે રીતે સફળતાપૂર્વક કાર્ય કરતી રહી છે તે કરતી રહે તે માટે અગત્યના સૂચનો પ્રમુખ ભદ્રેશ દોશી દ્વારા રજૂ કરવામાં આવ્યા અને આ સૂચનોનો સ્થળ પર જ સર્વનુંમતિથી સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાના સભ્યોને એક નાની ભેટ રૂપે સભ્ય પેઢીથી એક વ્યક્તિનો રૂપિયા પાંચ લાખનો અકસ્માત વીમો સંસ્થા લઈ આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ તેમજ મંત્રી સિવાય ગિરીશ સોલંકી, અશોક ઝવેરી, પી.એમ. સોની, સંજય છત્રાળા, હિતેશ પોમલ, નિમેષ કટ્ટા તેમજ અન્યોનો સહયોગ સાંપડયો હતો. હર્ષદ દોશીએ પ્રાર્થના ગીતથી કરી હતી. વર્ષ દરમિયાન અવસાન પામેલ સંસ્થાની કોર કમિટીના ચેરમેન અશોક બુધ્ધભટ્ટી તેમજ અન્ય વેપારીઓને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ભદ્રેશ દોશી તેમજ પૂર્વ પ્રમુખ દિલીપ બગ્ગાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સંચાલન મંત્રી વિજય બુદ્ધભટ્ટીએ સાંભળ્યું હતું.
અંબાજી ખાતે રાત્રી પૂજામાં માતાજીના ગર્ભ ગૃહમાં સમગ્ર રાજ્યભરના નાગર પરિવાર જાેડાશે
ભુજ : અંબાજી ખાતે તા.૨-૬ થી ૪-૬ સુધી ગુજરાત ભરના નાગર જ્ઞાતિજનો રાત્રિના ૯ થી ૧૨ વાગ્યા સુધી માતાજીના ગર્ભ ગૃહમાં રાત્રી પૂજામાં ભાગ લેશે તેમજ માતાજીના ગર્ભ ગૃહમાં પ્રવેશ કરતા પહેલા માઢમાં રાત્રિના ૭ઃ૩૦થી આરતી, શક્રાદય પઠન, ગરબા સ્તુતિ અને સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે.જેમાં તા.૩-૬ના ધાત્રીબેન માંકડનાં કંઠે સંગીતના સુર સાથે માતાજીની સ્તુતિ,ગરબા રજૂ કરાશે. સમગ્ર રાજ્યના નાગર જ્ઞાતિજનો તેમના માતાજી પાસે દરેક ભાઈઓ તથા બહેનો હાજર રહેશે અને મોટી સંખ્યામાં નાગર પરિવારો રાત્રી પૂજામાં જાેડાશે. તા.૩-૬ના રાત્રી પૂજામાં જાેડાનાર સવારે ૮.૩૦ વાગ્યે પાવડી પૂજા ત્યારબાદ ૧૦ વાગ્યે ગબ્બર ખાતે જ્યોત સે જ્યોત જલે એમ અખંડ જ્યોત માટે સવા ૨૫ કિલો ઘી અર્પણ કરી મંદિરના પૂજારીનું વિશેષ બહુમાન કરાશે અને ગબ્બર ખાતે સમૂહ શક્રાદય પઠન અનુપમભાઈ, હસમુખભાઈ વોરા અને ધાત્રીબેન માંકડના કંઠે પઠન થશે. તા.૪-૬ના ગાંધીધામ કચ્છના નાગર જ્ઞાતિજનો જાેડાશે. જે ગાંધીધામ નાગર જ્ઞાતિના પ્રમુખ છાયાભાઈના માર્ગદર્શન હેઠળ જાેડાશે.
બિસ્કિટ, પીપર, ખારીસીંગની મોજ સાથે ચાલીસી પાર કરનારા બન્યા વિદ્યાર્થીઓ
વી.ડી. હાઇસ્કૂલના ૧૯૯૫ની બેચના વિદ્યાર્થીઓનો મનમેળો યોજાયો
ભુજ : શહેરની જાણીતી વીરજી દેવશી હાઇસ્કૂલમાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રોમાં કાઠું કાઢનારા ૧૯૯૫નીબ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ‘ધમાલ ૨૦૨૩’ હેઠળ મનમેળો તાજેતરમાં ભુજ ખાતે યોજ્યો હતો, જેમાં વિદ્યાર્થીકાળના તે સમયમાં મોજ પડતી તેમ પીપર, બીસ્કીટ અને ખારીસીંગ સાથે ચાલીસીની ઉમર પાર કર્યા બાદ પણ એ મોજ વિદ્યાર્થીની જેમ લીધી હતી, તો વીડીમાં ભણીને દેશ વિદેશમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ છાત્રો આ મનમેળામાં સામેલ થતાં આનંદ બેવડાયો હતો.
‘ધમાલ ૨૦૨૩’ ભૂતપૂર્વ વિદ્યાર્થી મનમેળારૂપી સ્નેહ મિલનમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પણ કરાઇ હતી. ૧૯૯૦થી ૧૯૯૫ના વર્ષમાં વી.ડી. હાઇસ્કૂલમાં સળંગ સાથે ભણનારા છાત્રો હાલમાં ક્યાં વસી રહ્યા છે અને કયા વ્યવસાય કે નોકરી સાથે જાેડાયેલા છે તેના સહિતનું એક ડિજીટલ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. દેશના કોઇપણ ખૂણે આ બેચના વિદ્યાર્થીઓ હોય તો તેમનો સંપર્ક કરી શકાય તેવા આશયથી આ પ્રેઝન્ટેશન તૈયાર કરાયું છે. સ્નેહમિલનમાં ઇન્ડોર રમતનું આયોજન કરાયું હતું. તો સમાજમાં ક્યાંય સેવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે આગળ રહેવાની તત્પરતા પણ દર્શાવાઇ હતી. વિવિધ વિભાગના સરકારી કર્મચારી ઉપરાંત વેપારી, અધ્યાપક, શિક્ષક, તબીબ, હોટેલિયર, ફાર્માસીસ્ટ, ધારાશાસ્ત્રી, નાણાકીય સલાહકાર, સહકારી ક્ષેત્ર સહિતના વ્યવસાયમાં સંકળાયેલા પૂર્વ છાત્રોએ તેમના સંસ્મરણો વાગોળ્યા હતા.
સંચાલન ડો. મિહિર વોરાએ કર્યું હતું. જ્યારે કાર્યક્રમનાં આયોજનમાં હેતલ કોટક, કિરણ પારેખ, દિપેન દેસાઈ, હેમેન શાહ, અમીત શાહ, આશિષ શાહ, બ્રિજેશ ઠકકર, હર્ષ વૈધ, મનીષ દોશી, પરવેઝ બાયડ, અલ્પેશ વોરા, ગિરિરાજ જાડેજાએ જહેમત ઉઠાવી હતી. વિધાર્થી મંડળના સભ્યો ડો. ધર્મેશ જાેબનપુત્રા, અમીત ધોળકિયા, ઈકબાલ ચાકી,રઘુભા જાડેજાએ વિવિધ સૂચનો કર્યા હતા. જેમાં ભવિષ્યમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ખાસ વિધાર્થીઓની યાદગીરીરૂપ ઇકો ફ્રેન્ડલી બેગમાં ચોકલેટ, બિસ્કિટ, ગ્રુપ ફોટો, વી. ડી. હાઈસ્કૂલના નામવાળી બોલપેન, પ્રખ્યાત સીંગ, ચણા એક ખાસ પ્રકારની ઈકો ફ્રેન્ડલી થેલીમાં દરેક વિધાર્થી ઓને ભેટ અપાઇ હતી. આભારવિધિ કિરણ પારેખે કરી હતી.
જી.કે. જનરલ હોસ્પિટલની બ્લડ બેન્કે મે માસમાં ઈમરજન્સી વોર્ડને તાકીદની સ્થિતિમાં ૬૫,૧૦૦ સીસી રક્ત પૂરૂં પાડ્યું
વીતેલા માસમાં હોસ્પિટલ દ્વારા સંસ્થાઓના સહકારથી કુલ ૨.૫ લાખ સીસી લોહી એકત્રિત કરાયું
ભુજ : જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં કાર્યરત ઇમરજન્સી વોર્ડમાં વીતેલા માસમાં જુદા જુદા તાકીદના દર્દીઓ માટે તાત્કાલિક લોહીની જરૂરિયાત ઊભી થઈ હોય તેવા સંજાેગોને ધ્યાનમાં લઇ, હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા ૧૮૬ યુનિટ અર્થાત ૬૫,૧૦૦ સીસી લોહી પૂરું પાડવામાં આવ્યું હતું.ઇમરજન્સીસી ઉપરાંત તાકીદની ઘડીએ લોહીની આવશ્યકતા વાળા તમામ વોર્ડને બ્લડની જરૂરિયાત સંતોષી શકાય એ માટે મે માસ દરમિયાન ૨ લાખ ૫ હજાર સી.સી. રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. બ્લડ બેંકના ઇન્ચાર્જ ડૉ.જીજ્ઞાબેન ઉપાધ્યાયએ કહ્યું કે, હોસ્પિટલને જરૂરી લોહીનો જથ્થો સ્થાનિક બ્લડ બેન્ક અને જિલ્લામાં વિવિધ સ્થળોએ કેમ્પનું આયોજન કરી લોહીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે પૈકી ૧.૯ લાખ સી.સી. જુદા જુદા કેમ્પ દ્વારા અને ૯૫૦૦૦ સી.સી.જથ્થો જી.કે.ની બ્લડ બેન્કના ઇનહાઉસ અંતર્ગત પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. ઇનહાઉસ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર માધાપર, દરશડી સેંઘાણી પરિવાર, નખત્રાણા લોહાણા મહાજન સમાજ અને રેડક્રોસ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો.બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલએ જણાવ્યું કે, જૂન માસમાં પણ બ્લડ બેન્કની આવશ્યકતાને ધ્યાનમાં લઇ હાલ તુરત ઓલ કાર્ગો લોજિસ્ટિક મુન્દ્રા, ઇન્ડિયન કોસ્ટકાર્ડ નલિયા અને અલ્ટ્રાટેક સિમેન્ટ વાયોર ખાતે તેમજ ૧૪મી જૂને એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી લોહીની જરૂરિયાત સંતોષવા તેમજ બ્લડ એકત્રિત કરવા આયોજન માટે લેબ ટેકનિશિયન્સ, પેથો. સિનિયર રેસિડેન્ટ ડો.પૂજા કથરોટીયા વિગેરેએ સહકાર આપ્યો હતો.