કચ્છમાં સોલાર પેનલની સળગતી સમસ્યા : વોલ્ટેજમાં વધ-ઘટથી ગ્રાહકો પરેશાન
ઇલેક્ટ્રિક સાધનો ઊડી જવાના કે બગડવાના બનાવો વધ્યા
દિવસમાં વોલ્ટેજ વધે, રાત્રે ડિમાન્ડ વધતાં ફીડર બેસી જવાના લીધે વીજ વિક્ષેપના બનાવો વધ્યા : સોલાર પેનલનું વીજઉત્પાદન સીધું ગ્રીડમાં જવાને પગલે કેટલીક સમસ્યાની ફરિયાદ : સોલાર પેનલ ધરાવતા ઘરો ઉપરાંત અન્ય લોકોને સ્ટેબીલાઈઝર વસાવવાની પડી રહી છે ફરજ
ભુજ : છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં સૌર ઉર્જા વપરાશની દ્રષ્ટિએ વિસ્તરણ થયું છે. ભારત સરકાર સમગ્ર દેશમાં સૌર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. જેના લીધે હવે સોલાર એનર્જીનો યુગ શરૂ થયો છે. લગભગ મોટાભાગના નાગરિકો ૫ોતાના ઘરે સોલાર પેનલ લગાવી રહ્યા છે. જો કે દરેક વસ્તુના સારા અને નરસા પાસા હોય છે તેમ સોલાર પેનલ દ્વારા ઉત્પાદિત થતી વીજળીના પણ બે પાસા હોય તેમ આ વીજ ઉત્પાદન સીધું ગ્રીડમાં જવાને પગલે કેટલીક સમસ્યા ઊભી થઈ રહી છે. કચ્છમાં પણ સોલાર પેનલનું ચલણ વધી રહ્યું છે ત્યારે વોલ્ટેજમાં વધઘટથી ઇલેક્ટ્રિક સાધનો ઊડી જવાની કે બગડવાના બનાવો વધ્યા હોઈ વીજગ્રાહકો પરેશાન બન્યા છે. હાલ તો ગરમીનો જોર વધ્યો છે તે દરમ્યાન લાઈટ આવવા - જવાના કિસ્સા પણ વધવાથી લોકો અકડાઈ રહ્યા છે.
આ અંગેની વિગતો મુજબ સરકાર દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા જુદી જુદી યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે. વીજ ઉત્પાદનના પારંપરીક સ્ત્રોતોની સાથોસાથ હવે પવન ઉર્જા ઉપરાંત સૌર ઉર્જાને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું હોઈ ઘરેલુ તેમજ કોમર્શીયલ કનેક્શન ધરાવતા વીજ ગ્રાહકો સૌર ઉર્જા તરફ ઢળી રહ્યા છે. સોલાર પેનલ પર સરકાર દ્વારા સબસીડી પણ અપાઈ રહી હોઈ ઉપરાંત સોલાર પેનલ લગાવવાથી વીજબીલ પણ મર્યાદીત બની જતું હોઈ દેશ - રાજયના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ સોલાર પેનલ લગાવનારા વીજ ગ્રાહકોની સંખ્યામાં સતત
વધારો થતો જઈ રહ્યો છે.શહેરોની સાથોસાથ ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે ઘરોની છત પર સોલાર પેનલ દ્રશ્યમાન થવી સામાન્ય બનતી જઈ રહી છે. જો કે, સોલાર પેનલનો ઉપયોગ કેટલીક સમસ્યા પણ નોતરી રહ્યું હોઈ સવારે સોલાર ૫ેનલનું વીજ ઉત્પાદન વધતા ઘરમાં હાઈ વોલ્ટેજની સમસ્યા ઊભી થાય છે, જ્યારે રાત્રે પાવરની ડિમાન્ડ વધતા પીજીવીસીએલના ફીડર બેસી જવાની ઘટનાઓ બને છે. આ બંને પ્રશ્નોને કારણે સોલાર ૫ેનલ ધરાવતા નાગરિકોના ઘરમાં અને તેની આજુ - બાજુના ઘરમાં પણ દિવસના સમયે ઈલેક્ટ્રીક સાધનો ઊડી જવાની કે બગડવાની સમસ્યા ઊભી થઈ રહી છે જ્યારે રાત્રે વોલ્ટેજ ઘટતા કે ફીડર ખોટકાતા સાધનો ચાલુ ન થવાની કે લો વોલ્ટેજની સમસ્યા ઊભી થાય છે. ઉનાળા દરમિયાન આ સમસ્યા વધતી હોય છે. સોલાર પેનલનો ૫ાવર ગ્રીડમાં જતો હોય છે એક્સેસ પાવર જનરેટ થતા વોલ્ટેજ ૨૪૦ થી વધીને ૨૭૦ થાય છે ત્યારે હાઈ વૉલ્ટેજની સમસ્યા ઊભી થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં ખાસ કરીને બપોરે ૧૨ થી ૪ માં સોલાર ૫ેનલમાં પાવર વધારે જનરેટ થતા એકદમ વોલ્ટેજ વધે છે. જેમ કે શરીરમાં હાઈ બીપી હોય તેવી જ રીતે હાઈ વૉલ્ટેજ ઉ૫કરણોને અંદરથી ખોખલા કરે એક ટીવીની આવરદા ૧૦ વર્ષ હોય તો તે પાંચ વર્ષમાં પણ બગડી શકે. વારંવાર સંસાધનો ને રીપેર કરાવવા પડે કે ઉડી પણ જાય તેવી અનેકવિધ સમસ્યાઓ સર્જાઈ રહી છે. આ સમસ્યાના નિવારણ માટે કચ્છમાં અનેક લોકોને પોતાના ઘરોમાં પુનઃ સ્ટેબીલાઈઝર વસાવવાની ફરજ પડી રહી છે. ન માત્ર સોલાર પેનલ ધરાવતા ઘરો પરંતુ સોલાર પેનલ વિનાના ઘરોમાં પણ વોલ્ટેજની સમસ્યા સતાવી રહી હોઈ હાલે ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે.
Comments