નાની અરલમાં ખીચડીમાં એસીડ ભેળવીને વૃદ્ધાનો આપઘાત
ઝરૂના રેલવે ફાટક પાસે ટ્રેન તળે આવી જતાં આધેડનું મોત : ટપ્પરમાં દવા પી લેતાં યુવકનો જીવ ગયો
ભુજ : જિલ્લામાં આપઘાત - અપમૃત્યુની વધતી ઘટનાઓ વચ્ચે મોતનો કરૂણ કિસ્સો સામે આવ્યો છે. નખત્રાણા તાલુકાના નાની અરલમાં રહેતા વૃદ્ધાએ ખીચડીમાં એસીડ ભેળવીને આ ખીચડી પોતે ખાઈને મોતને વ્હાલુ કરી લીધું હોવાની ઘટના બનવા પામી છે. જયારે અંજાર તાલુકાના ઝરૂમાં ટ્રેન તળે આવી જવાના કારણે આધેડનું મોત થયું હતું, જયારે ટપ્પરમાં દવા પી લેતાં યુવકનો જીવ ગયો હતો. આ અંગેની વિગતો મુજબ નખત્રાણા પોલીસે જણાવ્યું હતું કે, ગત ર૩મી એપ્રિલના સવારે ૧૦ઃ૩૦ના અરસામાં આ બનાવ બન્યો હતો. હતભાગી ૬૩ વર્ષિય ઉદય કુંવરબા વિજયસિંહ જાડેજાએ કોઈ અગમ્ય કારણોસર ખીચડીમાં એસીડ ભેળવી પી જતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ૪ મેના સારવાર દરમિયાન મોત થતાં એડી દાખલ કરવામાં આવી છે. આ બનાવને પગલે ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
આ તરફ અંજાર પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ તાલુકાના ઝરૂ ગામના રેલવે ફાટક પાસે પરોડે ચાર વાગ્યાના અરસામાં બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ફાટકથી ર૦૦ મીટર દૂર ટ્રેનમાં કચડાઈ જવાના કારણે સ્થળ પર મરણ ગયેલ હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. દેહને પીએમ માટે સીએચસીમાં લઈ અંજાર પોલીસ દ્વારા મોતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે મુંદરા તાલુકાના ટપ્પર ગામે રહેતા ૪પ વર્ષિય હિરજી ખમુભાઈ કોલીએ ગત ર૩મી તારીખે કોઈ અગમ્ય કારણોસર ઝેરી જવા પી લેતાં સારવાર માટે જી.કે.માં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેઓનું સારવાર દરમિયાન મોત થતાં પ્રાગપર પોલીસે એડી દાખલ કરી છે.
Comments