બોર વેલ/ટયુબ વેલના બાંધકામ તથા સમારકામ અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમો જારી કરાયા
દેશમાં ખુલ્લા બોર-કુવામાં બાળકોના પડી જવાના ઘણા કિસ્સાઓ બનેલ છે. કેટલાક કિસ્સાઓમાં બાળકોના મૃત્યુ થવા પામેલ છે. આવા બોર-કુવા સબંધે સાવચેતીના પગલાં લેવા માટે નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ ગાઈડલાઇન આપેલ છે. ખુલ્લા બોર-કુવામાં બાળકોના પડી જવાના બનાવો ન બને તે માટે તકેદારીના પગલાં લેવા જરૂરી છે.
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા જિલ્લા ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સી.આર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં. ૨) ની કલમ ૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં બોર-કુવા બનાવવા પહેલાં તથા બનાવ્યા બાદ બોરવેલ/ટયુબ વેલના માલિક/ઉપયોગ કર્તા/ડ્રીલીંગ એજન્સીએ બોર વેલ/ટયુબ વેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાના માલિકે સત્તામંડળ તથા સ્થાનિક પોલીસને ૧૫ દિવસ પહેલા જાણ કરવાની રહેશે. તમામ સરકારી, અર્ધ સકારી, પ્રાઇવેટ ડ્રીલીંગ એજન્સીએ સ્થાનિક સતામંડળ પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બોર વેલ/ ટયુબ વેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે એજન્સીની વિગતો સાથે સલામતી સૂચક સાઇનબોર્ડ લગાવવાનું રહેશે. બોર વેલ/ટયુબ વેલના બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે ડ્રીલીંગ એજન્સીનું નામ તથા પુરું સરનામું તથા બોર વેલ/ટયુબ વેલનો ઉપયોગ કરનાર એજન્સી અથવા માલિકનું નામ તથા પુરૂં સરનામું આપવું પડશે.
બોર વેલ/ટયુબ વેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે તેની આજુબાજુ કાંટાળા તાર અથવા યોગ્ય વાડ/અંતરાયો રાખવા પડશે. વેલ કેસીંગની આજુબાજુ ૦.૫૦X૦.૫૦X૦.૬૦(૦.૩૦ મીટર ગ્રાઉન્ડ લેવલ ઉપર તથા ૦.૩૦ મીટર ગ્રાઉન્ડ લેવલ નીચે) સિમેન્ટ કોંક્રીટ વાળું પ્લેટફોર્મ બનાવવાનું રહેશે. સ્ટીલ પ્લેટ વેલ્ડીંગ કરી અથવા નટ બોલ્ટ સાથે મજબૂત પ્લેટ ફીટ કરી બોર વેલ/ટયુબ વેલનું કેપીંગ કરવાનું રહેશે. પંપ સમારકામ અથવા અન્ય કોઇ સમારકામ દરમ્યાન બોર વેલ/ટયુબ વેલ ખુલ્લા છોડી શકાશે નહીં. બાંધકામ/સમારકામ પૂર્ણ થયા બાદ ખાડા/ચેનલમાં માટી ભરવાની રહેશે. બિન ઉપયોગી અથવા ત્યજી દેવાયેલ બોર વેલ/ટયુબ વેલ અંગે સ્થાનિક સતામંડળ પાસેથી એક પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને માટી/રેતી/કાંકરા વિગેરે દ્વારા નીચેથી ગ્રાઉન્ડ લેવલ સુધી ભરી દેવાના રહેશે. ડ્રીલીંગ પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડ લેવલ ડ્રીલીંગ શરૂ કર્યા પહેલા જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં લાવવાનું રહેશે. જે બોર વેલ/ટયુબ વેલ હાલ બિન ઉપયોગી હોય પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો હોય તેને નટ બોલ્ટ સાથે બોરકેપ લગાવી ઢાંકી દેવાના રહેશે. આ હુકમ હુકમ સમગ્ર કચ્છ જિલ્લામાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૩/૧૧/૨૦૨૨થી તા.૨૧/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.